મારી કાન્તા

વાર્તાસ્રોતની સફરે

(It is a matter of worth mention that I have occasionally posted some Gujarati Articles with ‘pdf’ attachments being scanned ones. Now, I have great pleasure to represent a Gujarati Short Story following to this preamble directly. While going through the old collection of my literary work, I found out this one which was incomplete and required editing also. You might have observed previously that I don’t hesitate to mention how any story of mine has taken its shape with what intuition behind it. Just to maintain your curiosity and preserve suspense of the story, I’ll keep mum here. Now, please, go further and enjoy:)

(મેં પ્રસંગોપાત મારી કેટલીક વાર્તાઓને PDF Attachment તરીકે મારા બ્લોગ ઉપર મૂકી હતી, પણ હું આ વાર્તાને મારી પ્રસ્તાવના પછી તરત જ સીધેસીધી રજૂ કરીશ.મેં મારા દીર્ઘ કાળના સાહિત્યિક કામના સંગ્રહાએલા પટારાને ખોલ્યો, ત્યારે અધુરી લખાએલી આ વાર્તા મારી કાન્તામારી નજરે ચઢી. તેને મઠારવાનું અને આખરી ઓપ આપવાનું કામ જે તે સમયે બાકી રહી ગએલું હતું. ભૂતકાળમાં કદાચ તમે મારી રજૂ કરેલી કેફિયત થકી જાણ્યું હશે કે મારી વાર્તાઓ કેવા સ્રોતમાંથી જન્મી હોય છે અને તેની પાછળ કઈ પ્રેરણા અને પરિબળે ભાગ ભજવ્યો હોય છે તે સઘળું હું નિ:સંકોચપણે દર્શાવું જ છું. આપ સૌ વાંચકોની કુતુહલતાને અકબંધ રાખવા અને વાર્તાના રહસ્યને જાળવી રાખવાના શુભ ઈરાદાએ અહીં હું આ વાર્તા અંગે કંઈપણ કહેવાથી પરહેજ કરું છું અને મૌન સેવું છું.)

મારી કાન્તા

સંસ્કૃત વિદ્વાન મમ્મટે કવિતાનાં પ્રયોજનો વર્ણવતાં દર્શાવ્યું છે કે કવિતા એ કાન્તાની જેમ ઉપદેશ આપનારી હોય. મમ્મટે અહીં આદર્શ કાન્તાને લક્ષમાં લીધી લાગે છે, અને તેથી જ તેના મતે કડવા ઉપદેશને મિષ્ટ વાણીમાં ઘોળીને પાઈ દેનારી ‘કાન્તા‘ સમી કવિતા હોય. નરી ઉપદેશની વાતો કવિતાની કલાની વિષકન્યા સમી બની રહે.

 હું કવિતાનાં પ્રયોજનોની ચર્ચા કરવા નથી માગતો, કારણ કે ખુદ મમ્મટે અને કેટલાય કાવ્યમીમાંસકોએ એ કાર્ય બજાવ્યું છે. હું તો કાન્તાનાં પ્રયોજનો વિષે જ ચિંતન કરી રહ્યો છું. વળી આ ચિંતન કાલ્પનિક નથી, પણ સાચે જ આદર્શ લક્ષણોનો યોગ મારી કાન્તામાં થએલો છે. મારી કાન્તાને લગ્નથી માંડીને આજ સુધી અવલોકી છે. અહીં કરવામાં આવતું તેના ગુણોનું નિરૂપણ એ કંઈ મારી કાન્તાનો પ્રચાર નથી કે મારા સુખી દાંપત્યજીવન વડે દુખિયાઓ સામેનો કોઈ ઉપહાસ પણ નથી! હું મારી કાન્તાના ગુણોનું આલેખન એટલા માટે કરી રહ્યો છું કે જેથી પરિણીત કે અપરિણીત સ્ત્રીઓ મારી કાન્તાના ગુણોમાંથી એકાદનું ગ્રહણ કરે,તો પણ તેમના સંસારને મધુર બનાવી શકે.

તો આ રહી એ મારી કાન્તા!

મારી કાન્તા પ્રત્યેક ક્ષણે મિષ્ટ વાણીમાં મને ઉપદેશ આપે છે. મારી એક જ પ્રકારની ભૂલોની હજારો પુનરાવૃત્તિઓ ટાણે એના એ જ સ્મિત વડે મને સન્માર્ગે દોરે છે. તપસ્વીઓ જ પ્રાપ્ત કરી શકે તેવી આ સિદ્ધિ મારી કાન્તાએ હસ્તગત કરી છે. રોજિંદા જીવનવ્યવહારની નાનીમોટી મારી ક્ષતિઓ ટાણે મારી કાન્તા હકારાત્મક પ્રશ્નાર્થસૂચક ટકોર એવી કમનીયતાથી કરે છે કે એ મને અતિ મિષ્ટ લાગે છે. વળી એવી ટકોર સાંભળવા ખાતર જ એવી ભૂલો અસંખ્યવાર કરવા હું લલચાઉં છું. મારી કાન્તા મારી કપડાં પહેરવાની ઢબ, ભોજનરીતિ, રહનસહન, ઊંઘવાજાગવા, હરવાફરવા કે વાક્-વિનિમય એવા પ્રત્યેક પ્રસંગે મિષ્ટ ઉપાલંભ આપતી સ્મિતને પોતાના ચહેરાથી જરાય અળગું કરતી નથી.

કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વના જમા પાસામાં હોય છે, તેનો સ્વર; મારી કાન્તાનો સ્વર રૂપાની ઘંટડી સમો છે તેમ કહેવું ચીલાચાલુ લાગશે,પરંતુ તેથીયે વિશેષ કહું તો તેના મુખમાંથી નીકળતો પ્રત્યેક શબ્દ મારા કર્ણખંડની દિવાલોમાં કેટલાય સમય સુધી ગુંજ્યા કરે છે. આ ગુંજન મારા હૃદયતલને હચમચાવી દે છે અને પ્રત્યેક ક્ષણને મધુરજનીની એ દિવ્ય ક્ષણો સમા રસથી રસી દે છે. વળી ઉચ્ચારણ વખતે થતો તેના ઓષ્ઠનો આરોહઅવરોહ, દંતપંક્તિની સંતાકૂકડી અને તેની જિહ્વાનું હલનચલન એવાં નમણાં અને મનમોહક બની રહે છે કે મારાં નેત્રો એ સૌંદર્યને પામવા જતાં મારી કર્ણેન્દ્રિયને નિષ્ક્રિય બનાવી દે છે, પરિણામે તેણે અવાજનો શો રણકાર કર્યો તેનો ખ્યાલ સુધ્ધાં પણ રહેતો નથી.

મારી કાન્તાનું સૌંદર્ય પરાકાષ્ઠાને પામે તેવું તો નથી, પણ જે કંઈ છે તે મારા મનને અવશ્ય ભાવે છે. મારે મન સૌંદર્ય એ ગૌણ બાબત છે. સંસ્કાર, શીલ અને ચારિત્ર્ય એ જ મારી કાન્તાનું સાચું સૌંદર્ય છે. તેનો વાન ગૌર નહિ, પણ સાધારણ શ્યામ છે. પ્રમાણસરના અવયવો તેના ચહેરા ઉપર એવા સ્થિત છે કે બધા પોતપોતાના સ્થાને શોભી ઊઠે છે. મારે આવા કે તેવા પ્રકારનાં નાક, કાન કે ચક્ષુઓની કોઈ અપેક્ષા સેવવી નથી પડી. વળી આ અપેક્ષાનો કોઈ માપદંડ પણ હજુ સુધી મને લાધ્યો નથી. મારો માપદંડ માત્ર એ જ કે પ્રથમ નજરે હૃદયમાં ઊતરી જાય તેવું ચહેરાનું સૌંદર્ય હોય. કોઈ પણ કલા કે સૌંદર્યને આખરે તો અખંડ જ નીરખી શકાય. કાન્તાના ચહેરા વિષેનો કોઈ સ્પષ્ટ ખ્યાલ મારી પાસે નથી અને કદાચ કોઈની પાસે નહિ હોય. માની લો કે ખુદ વિધાતાકોઈને માટીનો પિંડ આપીને એમ કહી દે કે બનાવી લે તારી કાન્તા આ પિંડમાંથી, તો હું નથી માનતો કે કોઈ તેમ કરી શકે! પોતે ચહેરો કંડારવા બેસે તો મને લાગે છે કે મસ્તકનો ગોળ ભાગ તૈયાર કરીને બેસીજ રહેવાનો સમય આવે! ચહેરાના સ્પષ્ટ ખ્યાલ વિના કામ કેવી રીતે આગળ વધી શકે! આમ મારી કાન્તાના ચહેરા વિષે હું માત્ર એટલું જ કહી શકું તેમ છું કે, ‘શી ખબર! કોણ જાણે,પણ મને તેનો ચહેરો જોવો ખૂબ ગમે છે! જોયા કરું, બસ જોયા જ કરું!‘

મારું હૃદય અને મારી કાન્તાનું હૃદય અમારાં બંનેનાંશરીરોમાં અલગઅલગ હોવા છતાં અમારી સુખશય્યામાં અમે ધબકાર તો એકસરખો જ અનુભવીએ છીએ,જાણે કે એક જ હૃદયધબકતું ન હોય! મારાં પ્રત્યેક સંવેદનોની અસર એનું હૃદય પણ ઝીલે છે. મારા હર્ષ ટાણે એને હર્ષ થાય છે,મારી વ્યથા ટાણે એ વ્યથા અનુભવે છે. અમારાં મનોમંથનો,અમારાં સ્પંદનો, અમારાઆઘાતો અને પ્રત્યાઘાતો,અમારી વેદનાઓ,અમારા ઉલ્લાસો, અમારી આશાઓ, અમારી નિરાશાઓ સર્વ સહિયારાં બની રહે છે.

મારી કાન્તા એ માત્ર સૌંદર્યની પૂતળી બની રહીને મારા શયનખંડની શોભા માત્ર જ બની નથી રહેતી, તે રાંધણકલામાં પણ પાવરધી છે.અમારું રસોડું એ પણ સ્વર્ગીય વાનગીઓ સર્જે છે. મને ઈષ્ટ વાનગીઓ એને ઈષ્ટ હોય છે. મારે કદીય કહેવું નથી પડતું કે ભોજનની થાળીમાં અમુક વાનગીઓ હોય કે પછી વાનગીઓમાં અમુક સ્વાદ હોય. તેની બનાવેલી રસોઈ એટલી આદર્શ હોય છે કે મારે કદીય કોઈ ફરિયાદ નથી હોતી. રસોઈનું સમયપત્રક મારા મનમાં હોય છે અને તેને વાંચવા માટે તેની પાસે દિવ્ય ચક્ષુ છે.

વસ્ત્રપરિધાનકલામાં મારી કાન્તા એવી પારંગત છે કે મારે એ નથી કહેવું પડતું કે અમુક સાડી સાથે અમુક બ્લાઉઝ મેચ થશે. અરે! એના વસ્ત્રપરિધાન માટે તો ઠીક,પણ મારા વસ્ત્રપરિધાન માટે પણ તેની પાસે સૌંદર્યસૂઝ છે. મારાં કપડાં માટેના કાપડની ખરીદી, કપડાંની સિલાઈ, ધોલાઈ સર્વ બાબતો પરત્વે એટલી બધી જાગૃત છે કે રહી રહીને મને એક શંકા થયા કરે છે કે તે સંભવિતપૂર્વજન્મમાં કોઈ વરણાગિયો પુરુષ તો નહિ હોય! તેની કેશગૂંફનની કલા વિષે તો કહેવાનું જ શું હોય! એની એ કલા મારી દૃષ્ટિથી એટલી તો પરિચિત છે કે ગમે તે પ્રકારે તેની કેશગૂંથણી થએલી હોય્,પણ મારી દૃષ્ટિને માટે તો તે ફાઈનલ જ હોયછે! ઘરની સજાવટ માટે મારી સમજાવટની તેને જરૂર પડતી નથી. સર્વ ચીજો યથાસ્થાને યથોચિત જ હોય છે.

મારા શોખ અને મારી અભિરુચિઓની એ હંમેશા સહભાગી રહી છે.સાહિત્યકલામાંનો એનો મને મળતો સથવારો ખરેખર અનન્ય છે. જગત આખાયને મારાં સર્જનોથી આંજી દેવાની દિવ્ય પ્રેરણા મને તેના સાન્નિધ્યમાંથી સાંપડી રહે છે. મારી પ્રત્યેક કવિતા, પ્રત્યેક વાર્તા કે નવલકથામાં બસ એ જ હોય છે, એ જ હોય છે.‘ આ કાવ્યમાં આમ હોત તો,આ વાર્તાની નાયિકાને આમ ઉપસાવી હોત તો, આ નવલકથાનો અંત તે રીતે હોત તો‘ વગેરે જેવાં સૂચનો કરતી, મારાં સર્જનોની મુદ્રણ માટેની નકલો કરી આપવા ઉપરાંત જોડણીમાં ખૂબ કાચા એવા મારા માટે તે સાચી જોડણીઓ પણ કરી આપે છે. મોતીના દાણા જેવા અક્ષરો વડે મારાં સર્વ સર્જનોના ઉતારા કરી આપતી મારી કાન્તા મારા સાહિત્યક્ષેત્રે મારી છાયા સમી બની રહે છે.

આમ મારી કાન્તા એ મારી આસપાસ ભિન્નભિન્ન પરિસ્થિતિએ સરખા અંતરે રહેતા વર્તુળના પરિઘ સમી બની રહે છે. હું કેન્દ્રસ્થાને સ્થિત હોઉં છું અને તે નાનાંમોટાં વર્તુળો રૂપે મારાથી કોઈકવાર દૂર તો કોઈકવાર નજીક રહેતી હોય છે. મારી કાન્તાને મારા ઉપરાંત બીજાં ગૌણ બિંદુઓને પણ પોતાના પરિઘમાં સમાવવાં પડતાં હોય છે. આ બધાં બિંદુઓ છે, મારાં માતાપિતા, અમારાં સંતાનો. આ સૌની તે સાથે સૌજન્યપૂર્ણ વ્યવહારથી વર્તે છે. મારાં માતાપિતા પ્રત્યે મારા જેટલી જ તેના દિલમાં ભક્તિ છે. મારા મિત્રો, મારાં સ્નેહીઓ પણ મારી પાસેથી જેટલો પામી શકે તેટલો જ આદરસત્કાર તેની પાસેથી પામે છે. અમારાં બાળકોનો ઉછેર પણ આદર્શ ઢબે થાય છે. બાળમનોવિજ્ઞાનને તો જાણે ઘોળીને પી ગઈ હોય તેમ તેમના ચારિત્ર્યઘડતરમાં મારે કંઈ કહેવું તો નથી પડતું, પણ ઊલટાનું બાળકો પ્રત્યેના મારા કઠોર વર્તાવ ટાણે મને માર્ગદર્શક બની રહે છે. આમ મારાથી કોઈકવાર દૂર તો કોઈકવાર નજીક રહેતી એવી મારી કાન્તા અને હું બેમાંથી એક અને એકમાંથી બે એમ થતાં રહીએ છીએ.

હું નથી ઈચ્છતો કે તે સદાકાળ મારા ઉપર જ છવાએલી રહે. મારે પણ કેટલાંય સામાજિક અને આર્થિક કારણોસર બહારના જગતમાં આથડવાનું હોય છે. આવા ટાણે તે મને કદીય અવરોધરૂપ નથી બનતી. તેણે મને કદીય પત્નીઘેલો કે મોહાંધ બનવા નથી દીધો કે જેથી હું મારી જવાબદારીઓ પ્રત્યે દુર્લક્ષ સેવું. આવી કોઈક ક્ષણોમાં તેણે એક યા બીજી યુક્તિ કે પ્રયુક્તિ વડે મને સજાગ અને સભાન રાખ્યો છે.

હજુ તો મારી કાન્તા વિષે ઘણું બધું કહી શકું એમ છું! કેમ ન કહી શકું? એ મારી વાસ્તવિક કાન્તા થોડી છે! અતિશયોક્તિની પણ કોઈક હદ હોય તો ખરી ને!

‘તો પછી!‘, તમે પૂછી બેસશો.

તો મારો જવાબ છે, ‘એ તો છે મારી સ્વપ્નકાન્તા!‘

-વલીભાઈ મુસા

About Valibhai Musa

I am known with my nickname 'William' also in Blogging world. My Blog title is 'William's Tales', a bilingual Blog (English & Gujarati). My e-books in number of 13 (English-3 & Gujarati-10) have been published through BookGanga - Pune. Most of my literary work is in form of essays on human life - its direction, destination, peace & problems. I have written stories and poetry also In Gujarati. I am a super senior citizen and have been living my life with my motto 'Live and Let Live.' My Blogs :- (1) "William's Tales" - http://musawilliam.wordpress.com (૨) "વલદાનો વાર્તાવૈભવ" - https://musavalibhai.wordpress.com
This entry was posted in ટૂંકી વાર્તા, રહસ્ય, હાસ્ય, MB, PL, SM, WG and tagged , , , , , , , , , , , , . Bookmark the permalink.

3 Responses to મારી કાન્તા

  1. pragnaju says:

    કાન્તાની યાદ આપી

    મણિલાલ ન. દ્વિવેદીની પહેલી સાહિત્યકૃતિ. જયશિખરી-સુરપાળ-ભુવડના ઐતિહાસિક વૃત્તાંતમાં કલ્પના અને સ્વાનુભવ મિશ્રિત કરીને એમણે આ નાટકના વસ્તુની ગૂંથણી કરેલી છે. નાન્દી-પ્રસ્તાવના કે ભરતવાક્ય વિનાનું, કરુણ અંતવાળું, પાશ્ચાત્ય પદ્ધતિનું નાટક રચવાનો આ પ્રયત્ન છે. સુરસેન-કાન્તાનું મધુર દામ્પત્ય દર્શાવતો આરંભનો પ્રસંગ અનેક વિપત્તિઓમાં પલટાતો જઈને છેવટે કાન્તા-સુરસેનના ચિતાપ્રવેશ રૂપે પર્યવસાન પામે છે. નાટકની ક્રિયા સાથે તાલ લેતા પાત્રના મનોવેગનું આકર્ષક નિરૂપણ, જીવંત પાત્રચિત્રણ અને કવિતાના સમુચિત ઉપયોગ દ્વારા થતી રસનિષ્પત્તિને કારણે જ, વસ્તુસંકલના શિથિલ અને સંવાદો દીર્ઘસૂત્રી હોવા છતાં, રમણભાઈ નીલકંઠે ‘કાન્તા’ને છેક ૧૯૦૯ સુધીના ગુજરાતી નાટ્યસાહિત્યમાં ‘એક જ આશ્વાસનસ્થાન’ તરીકે બિરદાવ્યું છે.

    અને બધા દોષ નિવારણ અર્થે’ સ્વપ્ન ”મારી’ ઊમેરતા સમાધાન…
    સાચે જ સુંદર

    Like

  2. એ તો છે મારી સ્વપ્નકાન્તા!‘

    અમે તો લંકાની લાડી સમજી બેઠા . જો કે, લાડીબેનનો -પ્રેમાળ સ્વભાવ અનુભવેલો છે.

    Like

  3. આવી હોય મારી તો વધુ સારી ,તમારી ” સ્વપ્નકાન્તા!‘-અંગે વાંચીને …. ” આમ મારાથી કોઈકવાર દૂર તો કોઈકવાર નજીક રહેતી એવી મારી કાન્તા અને હું બેમાંથી એક અને એકમાંથી બે એમ થતાં રહીએ છીએ” યથાર્થ લાગે…બાકી, સર્વ-ગુણ સંપન્ન આપણે હોઈએ તો કંઈ ” બાત બને” એ સ્પર્ધક બની રહે ..
    pragnaju નું :-“કાન્તાની યાદ આપી.” -એક જ આશ્વાસનસ્થાન ” એટલે “મોર ઓર લેસ ” ફીચર્સ સરખા જ રહેવાના …ખુદને સુખી ગણતા અને અન્યો દ્વારા ગણાતા તમારા -મારા ને સુ.જા. જુ.કિ. જેવા ઇસમો ..મનોમન,” દિલથી ” આભારવશ ઋણસ્વીકાર કરે જ…”એ અલ્ટીમેટ આશ્રય-સ્થાન”નું . તપસ્વી જેવી લાડીબેનનો આદર-સત્કાર પ્રત્યક્ષ હ્કીકતે એકવાર માણ્યો છે … તે યાદ કરી લેવું યોગ્ય જ ગણાય …..અહાર અને અભિનંદન .
    -લા’કાન્ત / ૯-૬-૧૩

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s